અનોખું અભિયાન: મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સાંજે ૭ વાગતાં જ મોબાઇલ, ટીવી બંધ કરી દેતા ગ્રામજનો

ટેકનોલોજીના વર્તમાન સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટે લોકોનું જીવન બદલ્યું છે. ટેકનોલોજીના કારણે લોકોના અનેક કામો આસાન બન્યા છે. જો કે હવે આ સાધનોની લોકોને લત લાગી ચૂકી છે. જેથી મોટાભાગના લોકો મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ પર વધુ સમય વિતાવી રહ્યા છે. જેના કારણે વ્યકિત પરિવાર, સગાસંબંધી અને મિત્રોથી દૂર થઇ રહ્યો છે. અનેક રીસર્ચમાં પણ એ વાતનો ખુલાસો થયો છે કે, મોબાઇલ જેવા ગેઝેટસ પર કલાકો વીતાવનાર વ્યકિતને સાઇડ ઇફેકટ પણ થાય છે, જે આરોગ્યને અસર કરે છે. આ વાતને ધ્યાને લઇને મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સરપંચ દ્વારા અનોખો ઉપાય અજમાવવામાં આવ્યો છે. જેમાં દરરોજ સાંજે દોઢ કલાક તમામ ગ્રામજનો પોતાના મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ બંધ રાખે છે. જેના માટે મંદિરમાંથી સાયરન વગાડવામાં આવે છે.
આ અનોખી પહેલનો પ્રસ્તાવ ગામના સરપંચ વિજય મોહિતે મૂકયો હતો. જેને આવકારીને ગ્રામજનો અભિયાનમાં જોડાયા છે. દરરોજ સાંજે ૭ વાગ્યે ગામના મંદિરમાં સાયરન વાગતા જ ગ્રામજનો પોતાના મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ બંધ કરી દે છે. આ દરમ્યાન લોકો પુસ્તકો વાંચે છે, બાળકો પોતાનો અભ્યાસ કરે છે. જયારે કેટલાક લોકો એકમેકને મળીને વાર્તાલાપ કરે છે. લગભગ દોઢ કલાક સુધી સમગ્ર ગામના ડિજીટલ ગેઝેટસ બંંધ રખાય છે. ત્યારબાદ ૮.૩૦ કલાકે સાયરન વાગતા જ લોકો પુન: મોબાઇલ, ટીવી ચાલુ કરે છે. સરપંચના જણાવ્યાનુસાર કોરોનાના સમયમાં લોકડાઉનના કારણે ઓનલાઇન અભ્યાસમાં બાળકોના હાથમાં મોબાઇલ ફોન આવી ગયો હતો. જયારે તેના માતાપિતા વધુ સમય ટીવી જોવામાં વિતાવતા હતા. હવે કોરોના નહિવત થયા બાદ સ્થિતિ પૂર્વવત બની છે. બાળકો શાળાએ જઇને ભણી રહ્યા છે. પરંતુ હજીયે મોટાભાગના બાળકો મોબાઇલ ફોનમાં તલ્લીન જોવા મળે છે. આ સ્થિતિને નિવારવા માટેના વિચારને અમલમાં મૂકવા સરપંચે ગ્રામજનો સાથે વાત કરી હતી. જેને સૌએ આવકારીને અમલીકરણ શરુ કર્યુ હતું. આ અભિયાનમાં સાંજે સાયરન વાગતા ૭થી ૮.૩૦ કલાક સુધી લોકો મોબાઇલ, ટીવી બંધ કરીને અભ્યાસ, વાંચન અને વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે આ વાતનું યોગ્ય અમલીકરણ થઇ રહ્યું છે કે કેમ તેનું ધ્યાન રાખવા ખાસ વોર્ડ સમિતિનું ગઠન કરાયું છે. આ સમિતિ દોઢ કલાક સુધી ડિજીટલ ગેઝેટસ બંધ છે કે નહીં તેનું ધ્યાન રાખે છે. જો કે અભિયાનની શરુઆતમાં કેટલાક લોકોના મનમાં સવાલ હતો કે સાંજે દોઢ કલાક સુધી મોટાઓ તો ઠીક પરંતુ બાળકોને મોબાઇલ, ટીવીથી દૂર રાખવાનું શકય બનશે? પરંતુ ત્યારબાદ આંગણવાડી કાર્યકર, ગ્રામ પંચાયત કર્મચારી-સભ્યો, નિવૃત શિક્ષકોએ ડિજીટલ ડિટોકસ અંગે જાગૃતતા ઉભી કરવા ઘેર-ઘેર સંપર્ક સાધ્યો હતો. સૌની મહેનત સફળ થઇ રહી હોય તેમ સાંજે દોઢ કલાક સુધી ગામના ડિજીટલ ગેઝેટસ બંધ રાખવામાં આવી રહ્યા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો